
- સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો
- ફિકસ પગારની પાંચ વર્ષની સેવા, બઢતી ઉચ્ચત્તર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવામાં આવશે
- 42,035 કર્મચારીઓને રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ થશે
Gujarat News: રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 42 હજારથી વધારે સરકારી કર્મચારીઓ માટે મહત્વપુર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. 2006 પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલાં તમામ સરકારી કર્મચારીઓની નોકરી સળંગ ગણવામાં આવશે. આ નિર્ણયની જાહેરાત આજે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી હતી. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તલાટી, શિક્ષક, નર્સ સહિતના રાજ્યના 42 હજારથી વધારે સરકારી કર્મચારીઓના ફિકસ પગારની પાંચ વર્ષની સેવા, બઢતી ઉચ્ચત્તર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવામાં આવશે.
રાજ્ય સરકારનો કર્મચારી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય
¤ હવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણાશે : પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
મંત્રી શ્રી વાઘાણીએ ઉમેર્યું કે, રાજ્યમાં વર્ષ-૨૦૦૬ પહેલા ફિકસ પગારની નિતી અન્વયે નિમણુંક પામેલા કર્મચારીઓની ફિકસ પગારની પાંચ વર્ષની સેવા હવે સળંગ ગણવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત નાણાં વિભાગના તા. ૧૮/૧/૨૦૧૭ ના ઠરાવ મુજબ દર્શાવેલ બઢતી તેમજ ઉચ્ચત્તર પગાર ધોરણ સહિતના લાભો ગણતરીમાં લેવામાં આવશે. આ નિર્ણયથી અંદાજે ૪૨,૦૦૦ થી વધુ વર્ષ-૨૦૦૬ પહેલા નિમણુક પામેલા કર્મચારીઓને લાભ થશે. હવે આ કર્મચારીઓની પણ ફિકસ પગારની પાંચ વર્ષની સેવા, બઢતી ઉચ્ચત્તર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવાશે.