ધોરણ 6 થી 8 તાસ ફાળવણી અને શિક્ષકોના વિષય શિક્ષણના કાર્યભાર બાબત પરિપત્ર | Std 6 to 8 Tas Falavni Paripatra pdf

ધોરણ 6 થી 8 તાસ ફાળવણી અને શિક્ષકોના વિષય શિક્ષણના કાર્યભાર બાબત પરિપત્ર તારીખ - 11/07/2012


Std 6 to 8 Tas Falavni Paripatra pdf
શિક્ષણનો અધિકાર ર૦૦૯ કાયદાના અમલીકરણ અંતર્ગત ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થયેલ છે અને ધોરણ ૬ થી ૮ માટે વિષય શિક્ષકોની જોગવાઈ છે. સદર જોગવાઇ અનુસાર ભાષાઓ (ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી), ગણિત-વિજ્ઞાન, અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની નિમણૂંક થાય છે. આ સાત વિષયો ઉપરાંત શારીરિક શિક્ષણ-યોગ, કલા શિક્ષણ અને કાર્યાનુભવ વિષય અંતર્ગત પણ શિક્ષણકાર્ય કરાવવાનું હોય છે.

ચાલુ વર્ષે અમલમાં આવેલા નવા અભ્યાસક્રમમાં દરેક વિષયની સમય ફાળવણી પણ કરવામાં આવી છે. આ સમય ફાળવણીને ધ્યાને લઇ ધોરણ ૬ થી ૮ માં દરેક વિષયના સાપ્તાહિક કેટલા તાસ રાખવા જોઈએ એ અંગે જીસીઇઆરટી કક્ષાએ પુખ્ત વિચારણા થયેલ છે. આ વિચારણાને અંતે નીચે મુજબની વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે.

• ધોરણ ૬ થી ૮ ના કોઇ એક વર્ગની નમૂનાની તાસ ફાળવણી નીચે મુજબ છેઃ

૦ ગુજરાતી ૭ તાસ

૦ હિન્દી પ તાસ

૦ અંગ્રેજી ૬ તાસ

૦ સંસ્કૃત ૨ તાસ

૦ ગણિત ૭ તાસ

૦ વિજ્ઞાન ૭ તાસ

૦ સામાજિક વિજ્ઞાન ૬ તાસ

૦ શારીરિક શિક્ષણ, કાર્યાનુભવ, કલા શિક્ષણ ૫ તાસ (પીટી સહિત)

• ઉપરોક્ત તાસ ફાળવણી માર્ગદર્શન માટે આપેલી છે. વિષય શિક્ષકોના કાર્યભાર અને બાળકોની જરૂરિયાત મુજબ શાળાના મુખ્ય શિક્ષક એમાં ફેરફાર કરી શકે છે.

• ઉપરોક્ત તાસ ફાળવણી મુજબ એક વર્ગમાં ગણિત-વિજ્ઞાનના (૭+૭) ૧૪ તાસ થાય. એટલે કે ત્રણ વર્ગો હોય ત્યારે ગણિત-વિજ્ઞાનના શિક્ષકને ૪૨ તાસનો કાર્યભાર આવે.

• એક વર્ગમાં સામાજિક વિજ્ઞાનના ૬ તાસ લેખે ત્રણ વર્ગમાં કુલ ૧૮ તાસનો કાર્યભાર આવે. જ્યારે એક વર્ગમાં ભાષાના કુલ (૭+૫+૬+૨) ૨૦ તાસ થાય તેથી ત્રણ વર્ગમાં ભાષા શિક્ષકનો કાર્યભાર ૬૦ તાસ થાય, જે શક્ય નથી.

• આમ, સામાજિક વિજ્ઞાનના શિક્ષકના ઓછા કાર્યભાર અને ભાષા શિક્ષકના વધુ કાર્યભારને સરભર કરવા માટે સામાજિક વિજ્ઞાનના શિક્ષકે અન્ય વિષય પૈકીના વિષયો પણ ભણાવવાના થાય છે. આ અન્ય વિષયોમાં ભાષાઓ, ગણિત-વિજ્ઞાન, અને શારીરિક શિક્ષણ, કાર્યાનુભવ, કલા શિક્ષણ પૈકી કોઇપણ વિષયનો સમાવેશ થઇ શકે છે. શાળાના મુખ્યશિક્ષકે શાળાની જરૂરિયાત અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકની ક્ષમતાના આધારે તેમને અન્ય વિષયો ફાળવવાના રહેશે.

શાળાના મુખ્ય શિક્ષકે ધો. ૬ થી ૮ માં સાપ્તાહિક ૧૫ થી ૨૦ તાસ ફરજીયાત લેવાના રહેશે. મુખ્ય શિક્ષકે પોતાની શૈક્ષણિક લાયકાતને ધ્યાને લઈ વિષય-શિક્ષણ કાર્ય કરવાનું રહેશે.

ઉપરોકત વિગતોની જાણકારી તમામ શાળાઓને મળી રહે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીશ્રીએ તેમની કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.

(આર. સી. રાવલ) નિયામક જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર


Previous Post Next Post